Saturday, July 23, 2011

ટીમ ઈન્ડિયાની જીત : ક્રિકેટના જશ્નનો આ જ માહોલ ભારતીયોમાં દરેક બાબતે જોવા મળે ...

ગઈ કાલે (30/03/2011) વણનોતરી દિવાળી આવી પહોંચી હતી ભારતમાં. રસ્તા ઊભરાઈ આવ્યાં હતાં, ચીચીયારીઓ પડવા લાગી હતી, ઓળખતાં ન ઓળખતાં સૌ કોઈને અભિનંદન આપી રહ્યાં હતાં, તિરંગા સાથે બાઈક્સ અને કારનો કાફલો નીકળી પડ્યો હતો. માહોલ હતું જશ્નનું, દ્રશ્ય હતું ઉજવણીનું અને આનંદ હતો ભારતની જીતનો.

ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ કદાચ વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ કરતાં પણ વધારે રોમાંચક અને ઉન્માદ પેદા કરનારી હતી. અને કેમ ન હોય, એક તો ભારતીયોનો ક્રિકેટ પ્રેમ વળી તેમાં પણ કટ્ટર પડોશી દેશ પાકિસ્તાન સાથે વર્ષો બાદ વર્લ્ડકપનો મુકાબલો હતો. એટલે ભારતીયોનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને પહોંચ્યું હતું. કાલે ટીમ ઈન્ડિયા નહીં પરંતુ આખું ઈન્ડિયા જીત્યું હોય તેમ ભારતની પ્રજાએ જીતના જશ્નનો માહોલ પેદા કર્યો હતો. કદાચ 2011માં ફરીથી ભારત આઝાદ થયું હોય તેમ તિરંગા સાથે આનંદની લહેર ભારતભરના શહેરોમાં જોવા મળી હતી. ભારતના બંધનું એલાન થયું હોય તેમ બપોરથી રાત સુધી રસ્તાઓ સૂમસામ દેખાતાં હતાં પરંતુ પાકિસ્તાનને ઓલઆઉટ કરતાંની સાથે જ સમગ્ર માહોલ ધમધમી ઉઠ્યો હતો.

વેલ ડન, ટીમ ઈન્ડિયા. પરંતુ સમગ્ર આનંદ અને જશ્ન વચ્ચે ભારતની સંપતા અને જુસ્સાને જોઈને દંગ રહી જવાયું હતું ત્યારે એક વિચાર પણ આવ્યો કે ખરેખર આવો જ જુસ્સો અને જોમનો પરચો દેશની દરેક બાબતોમાં જોવા મળે તો....? તો ભારતને ફક્ત ક્રિકેટમાં જ નહીં પરંતુ એકેય ક્ષેત્રે કોઈ તેને હરાવી શકે તેમ નથી. ભારતની પ્રજામાં આ છુપાઈ રહેલી સંપતા અને જુસ્સાના હકદાર અન્ય સ્પોર્ટ્સ પણ છે. રાજકીય, આર્થિક અને સામાજિક ભારતને પણ જરૂર છે આ જ સંપતા અને જોમની.

આશા રાખીએ છીએ કે ‘ટીમ ઈન્ડિયા’ શબ્દ ફક્ત ક્રિકેટ ટીમ માટે જ સીમિત ન બની રહે. આપના મંતવ્યોનો અમે સહર્ષ આવકાર કરીએ છીએ.

No comments:

Post a Comment